ઇ-બૂક ઇન અને છપાયેલાં પુસ્તકો આઉટ?
આપણી વાત//અતિથિ કટાર//રમેશ તન્ના
સર્જક ઉદ્ ગાર//માસિકમાંથી સાભાર
મનુભાઇ પંચોલી ‘દર્શક’ દાદાએ વર્ષો પહેલાં રાધનપુરમાં યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં એવું કહ્યાનું યાદ છે કે સાહિત્યકારોએ સામાન્ય વાચક સુધી પહોંચવા માટે અદ્યતન ઉપકરણોનો પણ ઉપયોગ કરવો જોઇએ. તેમનો ઇશારો ટેલિવિઝન, ફિલ્મો વગેરે તરફ હતો. વર્ષો પહેલાં મનુદાદા જે જોઇ શક્યા હતા તે ટૅક્નોલૉજીથી તરબતર સમયકાળ હોવા છતાં ગુજરાતી પ્રકાશકો હજી કેમ જોઇ શકતા નથી તેની નવાઇ લાગે છે.
ટૅક્નોલૉજીને કારણે સમગ્ર વિશ્વમાં, લગભગ તમામ ક્ષેત્રોમાં પરિવર્તનો આવ્યાં છે. એમાંથી વાચન અને લેખનનું ક્ષેત્ર પણ સહેજે બાકાત નથી. સમગ્ર વિશ્વમાં અત્યારે ડિજિટલ પુસ્તકો અથવા ઇ-બુક્સની બોલબાલા વધી રહી છે. એ કબૂલ છે કે હજી આવનારાં ઘણાં વર્ષોમાં માણસજાત છપાયેલાં પુસ્તકોનો ઉપયોગ કરશે, પરંતુ ઇ-બુક્સનું પ્રભુત્વ પણ ઘણું વધવાનું છે. અત્યારના ડિજિટલના યુગમાં કાગળનાં પુસ્તકોનું સ્થાન ઇ-બુક લઇ રહી છે. આપણે ત્યાં ભારતમાં ઇ-બુક્સનો હજી પ્રારંભકાળ છે. પરંતુ અમેરિકા સહિતના અનેક દેશોમાં ઇ-બુક્સ હવે છપાયેલાં પુસ્તકોને ઓવરટેઇક કરી રહી છે. ‘ઍસોસિયેશન ઑફ અમેરિકન પબ્લિશર્સ’ના અહેવાલ પ્રમાણે તો પ્રિંટેડ બુક કરતાં ઇ-બુક આગળ નીકળી ગઇ છે. અમેરિકામાં ઇ-બુક્સના વેચાણની ટકાવારી 202.3 ની છે. જ્યારે તેની સરખામણીમાં છપાયેલાં પુસ્તકોના વેચાણમાં 34.4 ટકાનો ઘટાડો થયો છે. અંદાજ એવો છે કે સન 2014-15 સુધીમાં તો ઇ-બુક્સ છપાયેલાં પુસ્તકોનું અડધું માર્કેટ કબજે કરી લેશે.
સોની કંપનીએ સન 2010માં ‘રીડર’, એમેઝોન કંપનીએ ‘કિન્ડલ’ અને એ પછી એપલ કંપનીએ ‘આઇપેડ’ બજારમાં મૂક્યા પછી ઇ-બુક્સની દુનિયામાં ભારે હલચલ મચી ગઇ છે. લોકો હવે કમ્પ્યૂટરના સ્ક્રીન પર પુસ્તકો વાંચે છે. અત્યારે ઇ-બુક્સના વેચાણમાં એમેઝોન નંબર વન છે. 50 ટકા બજાર પર તેનો કબજો છે. તેની સરખામણીમાં બાર્સ ઍંડ નોબેલ કંપનીના 20 ટકા અને સોની કંપનીના પાંચ ટકા છે. અલબત્ત એપલ કંપની હવે આ ક્ષેત્રમાં ખૂબ ઝડપથી આગળ આવી રહી છે.
ઇ-બુક્સના ઘણા ફાયદા છે. સૌથી મોટો ફાયદો પર્યાવરણની બચતનો છે. છપાયેલાં પુસ્તકો માટે હજારો લાખો વૃક્ષોનું નિકંદન નીકળી જાય છે.ઇ-બુક્સમાં કાગળની જરૂર જ નથી. બીજી વાત છે કિંમતની. છપાયેલાં પુસ્તકોની સરખામણીમાં ઇ-બુક્સની કિંમત ઘણી નીચી હોય છે. વળી, પુસ્તકો રાખવા માટે હવે લોકો પાસે જગ્યા નથી ત્યારે ઇ-બુક્સ તેમાં ખૂબ ઉપયોગી છે. સૌથી મોટી વાત છે નવી પેઢીની આદતની. હવે નવી પેઢી પેઢી અત્યંત કમ્પ્યૂટર અને ટૅક્નોલૉજી ફ્રૅંડલી છે. તેની પાસે જો છપાયેલાં પુસ્તક અને ઇ-બુક્સ એમ બે વિકલ્પો હોય તો તે ઇ-બુક્સનો વિકલ્પ પસંદ કરશે.
અમેરિકાસ્થિત અતુલભાઇ રાવલ (અગ્રણી સર્વોદય કાર્યકર ગોવિંદભાઇ રાવલના સુપુત્ર) ગુજરાતી પ્રકાશન વિશ્વમાં ઇ-બુકનું વાતાયન ખોલવા મથી રહ્યા છે. થોડા સમય પહેલાં તેઓ ગુજરાતમાં આવ્યા ત્યારે પ્રકાશકો સાથે બેઠક કરીને તેમણે આ અંગે વિચારવિમર્શ કર્યો હતો. અલબત્ત, સ્થિતિ હજી પરોઢ પહેલાંના અંધારાની છે. પરોઢ થવાની તૈયારી છે. ગુજરાતીઓ સમગ્ર વિશ્વના 100થી વધુ દેશોમાં પથરાયેલા છે. તેઓ પોતાની માતૃભાષા ગુજરાતીને ખૂબ ચાહે છે. ગુજરાતીમાં પુસ્તકો વાંચવા સતત આતુર રહે છે. આ સ્થિતિમાં ગુજરાતી ભાષામાં ઇ-બુક્સની પ્રવૃત્તિ ખૂબ ઝડપથી વેગ પકડશે તેમાં કોઇ શંકા નથી. સવાલ ફક્ત એટલો જ છે કે આ પ્રવાહમાં આપણે કેટલી ઝડપથી ઝંપલાવીએ છીએ અને વિશ્વના તાલ સાથે તાલ મિલાવીએ છીએ.
–રમેશ તન્ના